ભારતીય રેલવેએ આજથી શરૂ કરી નવી સુવિધા, ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ જાણવું જરૂરી

By: Nation Gujarat Team
31 Jul, 2026

ટ્રેનમા મુસાફરી કરનારા લોકો માટે ખુબ  કામના સમાચાર છે. આપણે જોઈએ છે કે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ભારે ભરખમ સામાન સાથે મુસાફરી કરતા હોય છે. આવામાં અન્ય મુસાફરોને પણ ક્યારેક વધુ પડતા સામાનના કારણે તકલીફ પડે છે.  પરંતુ રેલવેના નવા નિયમ મુજબ હવે આવું બની શકશે નહીં. મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં લેતા ભારતીય રેલવે આજથી એક નવી સેવા ચાલુ કરી રહી છે. રેલવેએ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરો માટે પર્સનલ લગેજ માટેની ઓનલાઈન બુકિંગ સેવાને આજથી એટલે કે 31 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રેલવેના આ નિર્ણયનો હેતુ પાર્સલ બુકિંગની પ્રોસેસને સરળ કરવાનો અને સ્ટેશન પર થનારી ભાગદોડથી બચવાનો છે. રેલવે બોર્ડ તરફતી આ અંગે તમામ ઝોનલ રેલવેને પત્ર મોકલી દેવાયો છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ રેલવે બોર્ડે પત્ર મોકલીને નિર્દેશ આપ્યો છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને નિર્ધારિત વજન મર્યાદા સુધી ઓનલાઈન લગેજ બુક કરવાની સુવિધા તરત આપવામાં આવે. આ સેવા દ્વારા મુસાફરો પોતાની સાથે રિઝર્વ્ડ કમ્પાર્ટમેન્ટમાં લઈ જવામાં આવતા સામાનનું બુકિંગ અગાઉથી ઓનલાઈન કરી શકશે. રેલવે બોર્ડથી સ્પષ્ટ કરાયું કે માર્ચ 2025માં લેવાયેલા આ નિર્ણયના આધારે આ ડિજિટલ સિસ્ટમને 31 જુલાઈથી લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન બુક કરવાની મંજૂરી નહી
રેલવે બોર્ડની ગાઈડલાઈન્સ મુજબ એસી 3 ટિયર (3AC), એસી 3 ઈકોનોમી (3E) અને એસી ચેર કાર (CC) માં સામાનની ફ્રી  લિમિટ અને મહત્તમ મંજૂરી એક સરખી છે. આ કારણસર આ કોચમાં નિર્ધારિત લિમિટથી વધુ સામાન બુક કરવાની મંજૂરી નહીં હોય. જ્યારે સોફ્ટવેર તૈયાર કરનારી સંસ્થા ક્રિસ (CRIS) ને નિર્દેશ અપાયો છે કે તે ઓનલાઈન બુકિંગ દરમિયાન મુસાફરોને પ્રતિબંધિત વસ્તુઓની યાદી, અલગ અલગ કોચ પ્રમાણે નિર્ધારિત વજન અને દંડ સંબંધિત નિયમોની જાણકારી દર્શાવે.

કયા ક્લાસમાં કેટલો સામાન લઈ જઈ શકાય?

  • રેલવેના નિયમો મુજબ ફર્સ્ટ એસી મુસાફર પોતાની સાથે 70 કિલો સુધી સામાન મફત લઈ જઈ શકે.
  • ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ એસીમાં 50 કિલોનો સામાન
  • થર્ડ એસી, એસી ચેરકાર અને સ્લીપ ક્લાસમાં 40 કિલો
  • સેકન્ડ ક્લાસમાં 35 કિલો સુધી સામાન મફત લઈ જઈ શકાય છે.

વધારાના સામાન પર લાગશે ચાર્જ
જો કોઈ મુસાફરને પોતાની નિર્ધારિત ફ્રી લિમિટ કરતા વધુ સામાન કોચમાં લઈ જવો હોય તો તેણે નિર્ધારિત દરનો દોઢ ગણો ચાર્જ ભરવો પડશે. યાત્રી નિયમ હેઠળ નિર્ધારિત મહત્તમ લિમિટ સુધી જ એક્સ્ટ્રા લગેજનું ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. તેનાથી મુસાફરોની મુસાફરી આરામદાયી અને ચેકિંગ દરમિયાન લાગતા દંડથી પણ બચી શકશે.


Related Posts

Load more